India-Maldives: માલદીવમાં રહેતા તમામ ભારતીય સૈનિકો હવે સ્વદેશ પરત ફર્યા છે. માલદીવ સરકારે કહ્યું છે કે ભારતે માલદીવમાંથી તેના તમામ સૈનિકો પાછા ખેંચી લીધા છે.
રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુએ દેશમાંથી તમામ ભારતીય સૈનિકોને પાછા ખેંચવા માટે 10 મેની સમયમર્યાદા નક્કી કરી હતી. આજે આ સમયમર્યાદા પૂરી થઈ રહી હતી. સૈનિકોની આ વાપસી એવા સમયે થઈ છે જ્યારે બંને દેશોના વિદેશ મંત્રીઓ નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર વાતચીત કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ મુઈઝુને ચીન તરફી નેતા માનવામાં આવે છે. માલદીવમાં તૈનાત લગભગ 90 ભારતીય સૈન્ય કર્મચારીઓનું સ્વદેશ પરત ફરવું એ મોઇજ્જુના ચૂંટણી પ્રચારનો મુખ્ય ભાગ હતો.
રાષ્ટ્રપતિ કાર્યાલયના મુખ્ય પ્રવક્તા હિના વાલીદે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું કે માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોની છેલ્લી બેચને પરત મોકલી દેવામાં આવી છે. જોકે, તેમણે ભારતીય સૈનિકોની ચોક્કસ સંખ્યા વિશે માહિતી આપી ન હતી.

સૈનિકોની સંખ્યા વિશે હવે પછી માહિતી આપવામાં આવશે
વાલીદે કહ્યું કે સૈનિકોની સંખ્યા વિશે પછીથી માહિતી આપવામાં આવશે. ભારતે ભેટમાં આપેલા બે હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટના સંચાલન અને જાળવણી માટે માલદીવમાં ભારતીય સૈન્ય કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.
માલદીવ સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે સોમવારે 51 સૈનિકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. સરકારે સત્તાવાર દસ્તાવેજોને ટાંકીને માલદીવમાં 89 ભારતીય સૈનિકોની હાજરીની જાણકારી આપી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતીય કર્મચારીઓની પ્રથમ અને બીજી બેચ ભારત પરત આવી છે અને ભારતીય તકનીકી કર્મચારીઓને હવે ત્રણ ભારતીય ઉડ્ડયન પ્લેટફોર્મના સંચાલન માટે નિયુક્ત કરવામાં આવ્યા છે.