બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પક્ષને ખાતરી આપી હતી કે તેમની વચગાળાની સરકાર ડિસેમ્બર સુધીમાં સામાન્ય ચૂંટણીઓ યોજવાની તૈયારી કરી રહી છે. આ માહિતી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના એક ટોચના નેતાએ આપી હતી.
BNP મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે વચગાળાની સરકારના વડા સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે (યુનુસે) અમને કહ્યું હતું કે તેઓ ડિસેમ્બર સુધીમાં ચૂંટણી કરાવવા માટે કામ કરી રહ્યા છે.
વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી
આલમગીર, પાર્ટીના સ્થાયી સમિતિના સભ્યો સલાહુદ્દીન અહેમદ અને મેજર (નિવૃત્ત) હાફિઝ ઉદ્દીન અહેમદ સાથે, મુખ્ય સલાહકાર સાથે દોઢ કલાક ચાલેલી બેઠકમાં હાજરી આપી હતી. આલમગીરે જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળે આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તે ‘આ સરકારની મોટી નિષ્ફળતાઓમાંની એક’ છે. જોકે, સરકારે કહ્યું કે તેઓ તેને નિયંત્રિત કરવા માટે કામ કરી રહ્યા છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
આલમગીરે ધાનમોન્ડી ઘટના જેવી તાજેતરની ઘટનાઓ પર પણ સરકારની ટીકા કરી હતી જેમાં બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘરને ટોળા દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર આ ઘટનાઓની જવાબદારીથી છટકી શકે નહીં, અને આ ઘટનાઓને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આલમગીરે એમ પણ કહ્યું કે પાર્ટીના પ્રતિનિધિમંડળે વધતી જતી મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે સરકારની મોટી નિષ્ફળતા છે. જોકે, સરકારે કહ્યું કે તે તેને નિયંત્રિત કરવાના પ્રયાસો કરી રહી છે. આલમગીરે સરકારના તાજેતરના સુરક્ષા ઓપરેશન, ડેવિલ હન્ટ પર પણ ચિંતા વ્યક્ત કરી.
નિર્દોષ લોકોને ફસાવવા ન જોઈએ – આલમગીર
તેમણે કહ્યું કે આ ઝુંબેશમાં નિર્દોષ લોકોને ફસાવવા જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું કે BNP રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલાં કોઈપણ સ્થાનિક ચૂંટણી સ્વીકારશે નહીં. આ ઉપરાંત, નજરુલ ઇસ્લામ ખાનના નેતૃત્વમાં બીએનપીનું બીજું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશનર એએમએસ નાસિર ઉદ્દીનને મળ્યું.